Surat : Surat : સેન્ટ્રલ બેંકમાં સાગમટે ચાર હજારથી વધુ કર્મચારીઓની બદલીને પગલે હોબાળો
આ દરમ્યાન બેંકના કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો બેંકના મેનેજમેન્ટ દ્વારા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કર્મચારીઓ દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
સેન્ટ્રલ બેંકના સત્તાધીશો દ્વારા હાલમાં જ કરવામાં આવેલી સામુહિક બદલીને પગલે કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. બેંકની ટ્રાન્સફર પોલિસીને નજરઅંદાજ કરવાની સાથે સાથે ચાર હજારથી વધુ ક્લેરિકલ સ્ટાફની બદલીઓને પગલે આજે કર્મચારીઓ દ્વારા બેંકની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ બેંકના મેનેજમેન્ટ દ્વારા હાલમાં બેંકની ટ્રાન્સફર પોલિસીને અભેરાઈ પર ચઢાવીને મનસ્વી રીતે 4325 ક્લેરિકલ સ્ટાફની બદલીઓ કરવામાં આવી હતી. એક ઝાટકે લેવામાં આવેલા આ નિર્ણયને પગલે બેંકના કર્મચારીઓમાં પણ બેંકના મેનેજમેન્ટ વિરૂદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો. સામુહિક બદલીના વિરૂદ્ધમાં બેંકના કર્મચારીઓ દ્વારા આજથી બે દિવસીય હડતાળનું પણ રણશિંગુ ફુંક્યૂ હતુ. જેના અનુસંધાને આજે બેંકની નાનપુરા ખાતે આવેલી મુખ્ય કચેરીએ સેંકડો કર્મચારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કર્મચારીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, બેંકના મેનેજમેન્ટ દ્વારા બેંકના જ નીતિ – નિયમોને દરકિનાર કરી દેવામાં આવ્યા છે. એક સાથે ચાર હજારથી વધુ ક્લેરિકલ સ્ટાફની બદલીનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ગેરકાયદેસર અને બેંકની ટ્રાન્સફર પોલિસીથી વિપરીત છે. આ દરમ્યાન બેંકના કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો બેંકના મેનેજમેન્ટ દ્વારા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કર્મચારીઓ દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.