સુરતમાં પહેલીવાર એકસાથે 3100 વિદ્યાર્થીઓએ 21 વખત કર્યું હનુમાન ચાલીસાનું પઠન
આજની યુવાપેઢી પાશ્ચાત્ય (Western) સંસ્કૃતિ તરફ વળી રહી છે. બાળપણથી(Childhood) તેમને આ દિશામાં વાળવા માટે હોલીવુડ અને બૉલીવુડનું આંધળું અનુકરણ પણ તેટલું જ જવાબદાર છે. આવામાં ભાગ્યે જ ધર્મના અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો બાળકોમાં સિંચી શકાય છે. ત્યારે સુરતની એક શાળા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય દ્વારા પહેલીવાર એક આવકારદાયક પહેલ કરવામાં આવી હતી. જેમાં શાળાના 3100 જેટલા વિદ્યાર્થીઓને એકસાથે રાખીને 21 વાર હનુમાન ચાલીસાનુ પઠન કરવામાં આવ્યું હતું.
ગ્રાઉન્ડ પર એકસાથે આટલી મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હોય એવી આ પહેલી ઘટના છે. એકસાથે વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસા ગાતા વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું.
શાળાની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે ઘરે તો કાયમ હનુમાન દાદાની પૂજા અર્ચના તો કરતા જ હોઈએ છીએ પણ આ પહેલી વખત છે જયારે અમે શાળા તરફથી આ રીતે એકસાથે મળીને હનુમાન ચાલીસા ગાઈ હશે. અમારો અનુભવ બહુ સારો રહ્યો છે, એક હકારાત્મક ઉર્જાનો અનુભવ અમે કરી શકીએ છીએ.
બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું હતું કે વસુધૈવ કુટુંમ્બક્મની ભાવના સાથે અમે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ખુબ ઉત્સાહ બતાવ્યો છે. અને કાર્યક્રમની ખુબ સારી અસર અમારા વિદ્યાર્થીઓ પર પડી છે.