કોરોનાના ઘેરાતા વાદળો વચ્ચે 25મીએ શહેર – જિલ્લાના ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે

0

ગુજરાત વિધાનસભાની ચુંટણી ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ આગામી 25મી ડિસેમ્બરના રોજ શહેરના વનિતા વિશ્રામ ખાતે સુરત શહેર – જિલ્લાના ધારાસભ્યો – મંત્રીઓના સન્માન સમારોહ પર હવે કોરોના મહામારીના વાદળો ઘેરાયા હોય તેવું ચિત્ર ભાંસી રહ્યું છે. જો કે, આ સમગ્ર આયોજન અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમ્યાન કોવિડ-19ની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે અને કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેનાર પ્રત્યેક કાર્યકરોને અચૂક માસ્ક પહેરવા માટે જણાવવામાં આવશે.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધુ એક વખત કોરોના મહામારીના સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે બીજી તરફ સુરત શહેર ભાજપ દ્વારા હાલમાં નવનિર્વાચિત શહેર – જિલ્લાના તમામે તમામ ધારાસભ્યો અને મંત્રીઓના ભવ્ય સન્માન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 25મી ડિસેમ્બરના રોજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મ દિનના પ્રસંગે અઠવા લાઈન્સ ખાતે આવેલ વનિતા વિશ્રામ ખાતે યોજાનારા આ કાર્યક્રમને પગલે હવે તર્ક – વિતર્ક શરૂ થઈ ચુકી છે. અલબત્ત, આ કાર્યક્રમના આયોજન અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને ધ્યાને રાખીને સન્માન સમારોહ દરમ્યાન કોવિડ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર – જિલ્લાની તમામે તમામ બેઠકો પર ભગવો લહેરાયા બાદ રાજ્ય સરકારમાં સુરતના ત્રણ ધારાસભ્યોને મંત્રી પદ ફાળવવામાં આવ્યું હતું. જેમાં મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા સહિત અન્ય તમામ ધારાસભ્યોના સન્માન સમારોહની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજે 30 હજારથી વધુ ભાજપના કાર્યકરો – શહેરીજનો ઉમટી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
——

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *