Surat : રખડતાં ઢોર મુદ્દે મ્યુનિ. કમિશનરની લાલ આંખ બાદ કતારગામ ઝોન દ્વારા ગેરકાયદેસર તબેલાઓ વિરૂદ્ધ અભિયાન
![Surat: On the issue of stray cattle, Mun. Campaign against illegal stables by Katargam zone after Commissioner's red eye](https://imaginesurat.com/wp-content/uploads/2022/08/dhor-1024x576.jpg)
Surat: On the issue of stray cattle, Mun. Campaign against illegal stables by Katargam zone after Commissioner's red eye
સુરત (Surat ) સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર(Stray Cattles ) મુદ્દે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે સવારે કતારગામ(Katargam ) ઝોનમાં આંબા તલાવડી સહિત વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દુર કરવા માટે મનપા દ્વારા ભગીરથ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તબેલાના માલિકો દ્વારા વિરોધની પ્રબળ શક્યતાઓને પગલે મનપા દ્વારા માર્શલો અને એસઆરપીના જવાનોની ટીમો સાથે રાખીને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાલમાં જ રખડતા ઢોર મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે. તેઓએ આ સંદર્ભે સ્પષ્ટ શબ્દોમાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવા અંગે આદેશ ફરમાવવામાં આવ્યા બાદ આજે સવારથી જ શહેરના કતારગામ ઝોનમાં અલગ – અલગ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર તબેલાઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આંબા તલાવાડી અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.
ગેરકાયદેસર તબેલાના માલિકો દ્વારા શરૂઆતમાં આ તબેલાઓ દૂર ન કરવા માટે હરસંભવ પ્રયાસ કર્યા હતા. જો કે, માર્શલો અને એસઆરપીના જવાનો સાથે પહોંચેલી મનપાની ટીમ ટસની મસ ન થતાં અંતે 10 જેટલા સ્થળેથી તબેલાઓ દુર કરવામાં આવ્યા હતા. જ્યારે 20 જેટલા ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.