પાકિસ્તાનની વર્લ્ડકપ તૈયારીને લાગ્યો ઝટકો : છેલ્લી ઘડીએ બગડી ગયો પ્લાન
પાકિસ્તાન ક્રિકેટ ટીમે (Pakistan Cricket Team) શુક્રવારે પોતાની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી હતી. એશિયા કપમાં સુપર-4માંથી બહાર થયા બાદ હવે પાકિસ્તાનનું ધ્યાન સંપૂર્ણ રીતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પર છે. ભારતમાં યોજાનાર ક્રિકેટના મહાકુંભની તૈયારી માટે પાકિસ્તાને એક યોજના બનાવી છે, પરંતુ તેની યોજના વ્યર્થ જણાઈ રહી છે. પાકિસ્તાનની ટીમે અત્યારે કોઈ સિરીઝ રમવાની નથી અને તેથી તેનો પ્રયાસ હતો કે તે ભારત જતા પહેલા થોડા દિવસ દુબઈમાં રોકાઈ જાય, પરંતુ ટીમના ખેલાડીઓના વિઝાને લઈને સમસ્યા સર્જાઈ અને તેનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. .
વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની ટીમ આવતા સપ્તાહે સવારે UAE જવા રવાના થવાની હતી. ટીમના ખેલાડીઓ ત્યાં થોડા દિવસ રોકાશે અને પછી હૈદરાબાદ જવા રવાના થશે જ્યાં તેમને પ્રથમ પ્રેક્ટિસ મેચ રમવાની છે. પાકિસ્તાન આ મેચ 29 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે.
યોજનામાં ફેરફાર
હવે પાકિસ્તાનની ટીમ આવતા અઠવાડિયે બુધવારે લાહોરથી દુબઈ માટે રવાના થશે અને ત્યાંથી હૈદરાબાદ જશે. વેબસાઈટે પોતાના રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને કહ્યું છે કે સ્થિતિ ચિંતાજનક હતી પરંતુ હવે એવું લાગે છે કે પાકિસ્તાન ટીમના રવાના થતા પહેલા વિઝા મળી જશે. વિઝા માટે એક સપ્તાહ પહેલા અરજી કરવામાં આવી હતી. વેબસાઈટના રિપોર્ટ અનુસાર વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી નવ ટીમોમાંથી પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેને હજુ સુધી વિઝા મળ્યા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે સ્થિતિ સારી નથી અને તેથી જ બંને દેશો વચ્ચે મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ છે.
2016 પછી પ્રથમ પ્રવાસ
પાકિસ્તાન અને ભારતની ટીમો એકબીજાના દેશમાં આવતી નથી. બંનેએ લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી વર્ષ 2012માં રમાઈ હતી અને ત્યારબાદ પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો. આ પછી પાકિસ્તાનની ટીમ માત્ર એક જ વખત ભારત આવી છે અને તે પણ 2016માં ICC T20 વર્લ્ડ કપ માટે. જ્યારે ભારતે એશિયા કપ-2023 માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી અને તેથી જ આ ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો શ્રીલંકામાં રમાઈ હતી.